દુકાનદારો–ફ્રૂટ લારીધારકો પર ખોટી અરજીઓ, ધમકીઓ, અને રોફ બતાવવાના આક્ષેપ; એક વેપારીને માનસિક ત્રાસથી હોસ્પિટલમાં ખસેડવો પડ્યો
સુરજકરાડી વિસ્તારમાં દુકાન ધરાવતા તથા લારી પર ફ્રૂટનો વેપાર કરતાં વેપારીઓએ એકજૂથ થઈને મીઠાપુર પોલીસ સ્ટેશન ખાતે ગંભીર આવેદન રજૂ કર્યું છે. વેપારીઓના કહેવા મુજબ CHC સેન્ટરની દુકાન ચલાવતા વિજય ભાયાણી તેમના પર સતત માનસિક ત્રાસ, ધમકી તથા ખોટી ફરિયાદો કરી રહ્યા છે.
વેપારીઓએ લખિતમાં જણાવ્યું કે —
વિજય ભાયાણી વારંવાર ખોટી અરજીઓ રજૂ કરે છે,
દુકાનદારો સામે રોફ બતાવી માનસિક હેરાનગતી કરે છે,
તથા “ધંધો બંધ કરાવી દઈશ” જેવી ગંભીર ધમકીઓ આપે છે.
આ સતત માનસિક ત્રાસથી કરસનભાઈ રાજસીભાઈ બારિયાની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા.
તે સિવાય મેહુલભાઈ (ફરસાણ), શ્રી રામ ઓટો પાર્ટ્સના બે વેપારીઓએ જણાવ્યા મુજબ, સતત ડર અને ત્રાસને કારણે તેઓએ પોતાની દુકાનો બંધ કરી દેવી પડી છે.
વેપારીઓનું સ્પષ્ટ કહેવું છે કે —
“અમે આપણા પરિવારનું ગુજરાન ચલાવવા માટે મહેનત કરીએ છીએ. વિજય ભાયાણી દ્વારા આપવામાં આવતા ત્રાસ અને ધમકીઓ હવે સહન કરી શકાય તેવી નથી.”
વેપારીઓની માંગ
આમના માનસિક ત્રાસ, ધમકી અને ખોટી ફરીયાદોને ધ્યાનમાં રાખીને, વેપારીઓએ પોલીસે વિજય ભાયાણી વિરુદ્ધ કડક કાર્યવાહી કરે તેવી માંગણી કરી છે.







