પ્રખ્યાત લોકસાહિત્યકાર માયાભાઈ આહીરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ વિવાદ વધુ વકર્યો છે. મુંબઈમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન બગદાણા ધામ માટે ‘મેનેજિંગ ટ્રસ્ટી’ શબ્દનો ઉપયોગ કરવા બદલ માયાભાઈ પાસે માફી મંગાવનાર અને તેમની ભૂલ સુધારનાર બગદાણાના સેવક નવનીતભાઈ બાલધિયા પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, માયાભાઈ સાથે ટેલિફોનિક વાતચીત બાદ માયાભાઈએ પોતાની ભૂલ સ્વીકારી માફી માંગતો વીડિયો જાહેર કર્યો હતો. જોકે, ત્યારબાદ આ મામલે ઉગ્ર વળાંક આવ્યો હતો અને અજાણ્યા શખ્સો દ્વારા નવનીતભાઈ પર પાઈપ અને ધોકા વડે ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા નવનીતભાઈને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ સમગ્ર પ્રકરણમાં હવે માયાભાઈ આહીરના પુત્ર જયરાજ પર દાદાગીરી અને હુમલાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. હુમલાનો વીડિયો અને આક્ષેપો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકસાહિત્ય અને ભાવિકોના વર્તુળમાં ભારે ચકચાર મચી જવા પામી છે. પોલીસ તપાસ બાદ જ સત્ય બહાર આવશે કે આ હુમલા પાછળ ખરેખર કોનો હાથ છે.


