ગુજરાત સરકાર રાજ્યમાં ભાગેડુ લગ્ન એટલે કે માતા-પિતાની મંજૂરી વિના થતા પ્રેમ લગ્નો સંદર્ભે કાયદાકીય નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવા જઈ રહી છે. આ અંગે સરકાર ટૂંક સમયમાં નવો નિયમ અમલમાં મૂકશે, જેની ચર્ચા આગામી કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે અથવા તો ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે. આ નવા ફેરફારોને કારણે લગ્ન નોંધણીની પ્રક્રિયા વધુ પારદર્શક અને કડક બનશે.
નવા પ્રસ્તાવિત નિયમો મુજબ, જ્યારે કોઈ યુવક-યુવતી લગ્ન રજિસ્ટ્રેશન માટે અરજી કરશે, ત્યારે સૌપ્રથમ તેમના માતા-પિતાને નોટિસ મોકલવામાં આવશે. આ નોટિસ મળ્યા બાદ માતા-પિતાએ ૩૦ દિવસની અંદર પોતાનો જવાબ રજૂ કરવાનો રહેશે. આ જોગવાઈનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે માતા-પિતાને તેમના સંતાનોના લગ્ન વિશે જાણકારી મળે અને કોઈ પણ ગેરરીતિ અટકાવી શકાય.
આ ઉપરાંત, લગ્ન નોંધણીના સ્થળ અંગે પણ મોટો ફેરફાર કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી જે સ્થળે લગ્ન થયા હોય ત્યાં નોંધણી થઈ શકતી હતી, પરંતુ હવે યુવતીના આધારકાર્ડમાં જે સરનામું હશે, તે વિસ્તારની કચેરીમાં જ લગ્નની નોંધણી કરાવી શકાશે. આ અંગે કાયદામંત્રી, કાયદાશાસ્ત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ વચ્ચે આજે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે, જેમાં આ નિયમોને આખરી ઓપ આપવામાં આવશે.


