રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવે આજે પોલીસ બેડામાં મોટો કડાકો બોલાવ્યો છે, જેના કારણે સૌરાષ્ટ્રભરની પોલીસમાં ખળભળાટ મચી ગયો છે. સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની કામગીરીમાં ગંભીર બેદરકારી અને ઢીલાશ જણાતા રેન્જ આઈજીએ સિંઘમ અવતાર ધારણ કરી કડક કાર્યવાહી હાથ ધરી છે.
આ કાર્યવાહીમાં સુરેન્દ્રનગર LCB ના PI (પોલીસ ઇન્સ્પેક્ટર) ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં, પરંતુ સમગ્ર LCB બ્રાન્ચનું વિસર્જન કરી નાખવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર જિલ્લાના પોલીસ વિભાગમાં સોપો પડી ગયો છે અને ઉચ્ચ અધિકારીઓથી લઈને સામાન્ય કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
રેન્જ આઈજી અશોક કુમાર યાદવે સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે ખાખી વર્દીમાં કોઈપણ પ્રકારની ઢીલાશ કે ફરજ પ્રત્યેની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહેતા અથવા શિસ્તભંગ કરતા અધિકારીઓ સામે આગામી સમયમાં પણ આવી જ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ નિર્ણયને પ્રજા દ્વારા આવકારવામાં આવી રહ્યો છે, કારણ કે તે પોલીસ તંત્રમાં શિસ્ત અને જવાબદારીનું ભાન કરાવશે.


