દ્વારકાની ગોમતી નદી પર આવેલો ઐતિહાસિક સુદામા સેતુના નવનિર્માણ માટે રાજ્ય સરકારે અંતે મંજૂરી આપી છે. ઓક્ટોબર 2022માં મોરબી બ્રિજ દુર્ઘટના બાદ સલામતીના કારણોસર આ પુલ બંધ કરવામાં આવ્યો હતો, જેના કારણે છેલ્લા ત્રણ વર્ષથી શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ પંચનદ તીર્થ તથા દ્વારકા બીચ સુધી પહોંચી શકતા ન હતા.
રાજ્ય સરકારે સુદામા સેતુના નવનિર્માણ માટે કુલ ₹14.11 કરોડનું ભંડોળ મંજૂર કર્યું છે. આમાંથી ₹9.45 કરોડ યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અને ₹5 કરોડ દ્વારકા દેવસ્થાન સમિતિ દ્વારા ફાળવવામાં આવશે. જાહેર બાંધકામ વિભાગ (PWD) દ્વારા આ મહત્વપૂર્ણ કામગીરી એક ખાનગી કંપનીને સોંપવામાં આવી છે, અને ટૂંક સમયમાં બાંધકામ શરૂ થવાની શક્યતા છે.
નવો સુદામા સેતુ આધુનિક અને ઉચ્ચ સ્તરની સુરક્ષા ટેક્નોલોજીથી બનાવવામાં આવશે. હાલના જૂના સુપર કન્સ્ટ્રક્શનને દૂર કરવામાં આવશે, જ્યારે ગોમતી નદીમાં આવેલા મજબૂત પિલરને યથાવત રાખવામાં આવશે. આ પિલર પર સ્ટેનલેસ સ્ટીલ મટીરીયલનો ઉપયોગ કરીને નવો મજબૂત કેબલ બ્રિજ તૈયાર કરવામાં આવશે.
પ્રવાસીઓ અને યાત્રાળુઓની સલામતીને ધ્યાનમાં રાખીને આ બ્રિજમાં જર્મન ટેક્નોલોજીનો ઉપયોગ થવાની શક્યતા છે. નવનિર્માણ કાર્ય પૂર્ણ થવામાં અંદાજે એક વર્ષનો સમય લાગશે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને આગામી વર્ષે સુદામા સેતુ ફરીથી જનતા માટે ખુલ્લો મુકાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.


