દ્વારકા પ્રાંત અધિકારીએ અગાઉ બંધ કરાવેલી દુકાનો નાગેશ્વર મંદિરમાં ફરી ખુલતાં નવો વિવાદ સર્જાયો છે. વીડિયો વાયરલ થતાં તંત્રની આગામી કાર્યવાહી પર ચર્ચાઓ ગરમાઈ છે. સ્થાનિકો વચ્ચે પ્રશ્નો ઉઠી રહ્યા છે કે તંત્ર શક્તિશાળી કે મન્દિર ટ્રસ્ટ?
ઓખામંડળના નાગેશ્વર મહાદેવ મંદિરમાં અગાઉ બંધ કરાવી દેવામાં આવેલી દુકાનો ફરીથી ચાલુ થઈ જતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ જામ્યો છે. થોડા સમય પહેલા દ્વારકા પ્રાંત અધિકારી સ્થળ પર પહોંચી દુકાનોનો તાબો બંધ કરાવ્યો હતો, પરંતુ હવે તે જ દુકાનો ફરી ચાલુ થઈ ગયાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો છે.
વિડિયો વાયરલ થયા બાદ સ્થાનિકોમાં અનેક પ્રકારના પ્રશ્નો ઉઠવા લાગ્યા છે. કેટલાક લોકો કટાક્ષ કરતાં કહે છે કે તંત્રની સત્તા વધારે છે કે મન્દિર ટ્રસ્ટનો પ્રભાવ? દુકાનો ફરીથી ખુલવા પાછળનું કારણ શું છે અને કોણે આ મંજૂરી આપી – તે મુદ્દે હજી સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા મળી નથી.
વહીવટી તંત્ર બાબતની જાણકારીમાં છે અને અંદરખાને ચર્ચા છે કે તંત્ર આ મામલે ફરી હસ્તક્ષેપ કરી શકે છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ સામાન્ય લોકો વચ્ચે ‘બાકી હવે તો થોભો અને રાહ જુઓ’ જેવું મૂડ જોવા મળી રહ્યું છે. આગામી દિવસોમાં તંત્ર દ્વારા કરવામાં આવનાર સંભવિત કાર્યવાહી પર સૌની નજર કેન્દ્રિત થઈ છે.


