જામનગરમાં ટેકનોલોજીના દુરુપયોગનો વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. થોડા સમય પહેલાં એક જાણીતા બિલ્ડરના ફોટા સાથે છેડછાડ કરવાનો મામલો શાંત નથી થયો ત્યાં જ હવે રાજ્યના પૂર્વ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને નિશાન બનાવવામાં આવ્યા છે.
કોઈ અજાણ્યા શખ્સે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટૂલ્સનો ઉપયોગ કરીને રાઘવજીભાઈ પટેલના વિકૃત અને આપત્તિજનક ફોટા બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા. આ કૃત્યથી તેમની સામાજિક પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને, આ કૃત્ય કરનાર સોશિયલ મીડિયા આઈડી ધારક વિરુદ્ધ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સાયબર ગુનેગારો હવે રાજકીય આગેવાનોને પણ નિશાન બનાવી રહ્યા છે, જે ચિંતાનો વિષય છે.


