યાત્રાધામ દ્વારકાના જગતમંદિરની પવિત્રતા અને સ્વચ્છતા જાળવવા માટે તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષકની દરખાસ્તને ધ્યાને લઈને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હેઠળ એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર, હવેથી દ્વારકાધીશ મંદિરની 100 મીટરની ત્રિજ્યામાં પાન, મસાલા, તમાકુ, ગુટખા અને સિગારેટ જેવા નશીલા પદાર્થોના વેચાણ, ખરીદી અને સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ નિર્ણય ભાવિકોના આરોગ્ય અને મંદિર પરિસરની સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, કારણ કે ઘણીવાર વ્યસનીઓ ગંદકી ફેલાવતા હોવાનું ધ્યાને આવ્યું હતું.
આ ઉપરાંત, યાત્રાળુઓની સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે પણ તંત્ર સક્રિય બન્યું છે. મંદિર વિસ્તારમાં ભિક્ષુકો અને ફેરિયાઓના કારણે દર્શનાર્થીઓને પડતી મુશ્કેલીઓ અને ટ્રાફિકની સમસ્યાઓને નિવારવા માટે ભિક્ષુકો અને ફરતા ફેરિયાઓ પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ જાહેરનામું આગામી 24મી જાન્યુઆરી સુધી અમલમાં રહેશે અને તેનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તંત્રના આ પગલાંથી યાત્રાધામમાં આવતા લાખો ભાવિકોને હવે વધુ સ્વચ્છ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં દર્શનનો લાભ મળશે.


