દ્વારકામાં જાહેર રસ્તા પર રેલીંગ લગાવવાના નિર્ણય સામે વેપારીઓમાં અસંતોષ; યોગ્ય ચર્ચા વગર નિર્ણય ન લેવાય તેની કલેક્ટરને વિનંતી.
જ્યારે રાજ્ય સરકાર દ્વારકામાં દ્વારકા કોરીડોર જેવા વિશાળ અને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે, ત્યારે અચાનક જાહેર રસ્તા પર રેલીંગ લગાવવાનો નિર્ણય સ્થાનિક વેપારીઓમાં ભારે રોષનું કારણ બન્યો છે.
વેપારીઓનું કહેવું છે કે આ નિર્ણય બિનજરૂરી ખર્ચ તો છે જ, સાથે સાથે સ્થાનિક વેપારીઓ સામે હેરાનગીરી સમાન છે. ખાસ કરીને કોઈ એક ચોક્કસ અધિકારીના આગ્રહથી આ કામગીરી આગળ ધપાવવામાં આવી રહી હોવાની ચર્ચાઓ વધુ અસંતોષ ફેલાવી રહી છે.
વેપારીઓ અને સ્થાનિક અગ્રણીઓએ માગણી કરી છે કે ધારાસભ્ય, નગરપાલિકા, વેપારીઓ અને સ્થાનિક સમાજના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કર્યા વગર આજની બેઠકમાં કોઈ અંતિમ નિર્ણય ન લેવાય.
તેમણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટરશ્રીને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી છે અને દ્વારકાના હિતમાં આ કામગીરીને હાલ પૂરતી મોકૂફ રાખવા જણાવ્યું છે.


