યાત્રાધામ દ્વારકામાં સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે દેવભૂમિ દ્વારકા પોલીસે કડક વલણ અપનાવ્યું છે. દ્વારકા પોલીસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે અને હોટેલ સંચાલકો દ્વારા નિયમોનું પાલન કરવામાં બેદરકારી દાખવનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
તાજેતરમાં દ્વારકા પોલીસે એક મહત્વનું ઉદાહરણ પૂરું પાડ્યું છે, જેમાં હોટેલમાં રોકાતા યાત્રિકોની નોંધણી સરકારમાન્ય ‘પથિક’ (PATHIK) સોફ્ટવેરમાં ન કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે. દ્વારકામાં આવેલા રાજભવનના સંચાલક રાજન ચૌહાણ અને સહજાનંદ ભવનના મેનેજર ભરત જેઠવા સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે.
આ કાર્યવાહીનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે દ્વારકામાં આવતા તમામ પ્રવાસીઓની યોગ્ય નોંધણી થાય, જેથી સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે. પોલીસ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે હવેથી કોઈપણ હોટેલ, ગેસ્ટ હાઉસ કે ધર્મશાળાના સંચાલકો જો પથિક સોફ્ટવેરમાં યાત્રિકોની એન્ટ્રી કરવામાં ચૂક કરશે, તો તેમની સામે પણ કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે.


