યાત્રાધામ દ્વારકામાં જગત મંદિરની આસપાસ અને મુખ્ય બજારોમાં ટ્રાફિક અને દબાણની સમસ્યા દિવસેને દિવસે વિકટ બની રહી છે. ખાસ કરીને મંદિર ચોક અને જોધાભા માણેક રોડ પર ગેરકાયદેસર પાર્કિંગ અને ફેરિયાઓના અડીંગાને કારણે શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ અંગે હવે દ્વારકાના ન્યૂ વેપારી મંડળ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.
દ્વારકા ન્યૂ વેપારી મંડળના પ્રમુખ નિલેશભાઈ બથિયા એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (ટ્વીટર) દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી (CMO) અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ધ્યાન દોર્યું છે. તેમણે ટ્વીટમાં જણાવ્યું હતું કે, દ્વારકાના મંદિર ચોક અને જોધાભા માણેક રોડ પર ગેરકાયદેસર પાર્કિંગ અને ફેરિયાઓએ રસ્તો બ્લોક કરી દીધો છે. કલેક્ટર શ્રીના જાહેરનામા મુજબ આ વિસ્તાર ‘હોકર ફ્રી ઝોન’ જાહેર કરાયો હોવા છતાં, ગેઝેટ ઓર્ડર્સનો અમલ થતો નથી અને દબાણ યથાવત છે.
આ ગંભીર બાબતે વેપારી મંડળે CMO ગુજરાત, હર્ષ સંઘવી, દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર, SDM દ્વારકા, SP ઓફિસ દ્વારકા અને દ્વારકા નગરપાલિકાને ટેગ કરીને કાયમી ધોરણે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા માત્ર કામચલાઉ કામગીરી કરવામાં આવતી હોવાથી વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને હવે આ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી અવાજ ઉઠાવવામાં આવ્યો છે.


