યાત્રાધામ દ્વારકાની પવિત્ર ભૂમિ પર આગામી સમયમાં એક અભૂતપૂર્વ ધાર્મિક મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે. પરમ તપસ્વી સંત આત્માનંદદાસજી મહાત્યાગી (નેપાલી બાબા) ના આશીર્વાદથી શિવભક્ત ધારાસભ્ય પબુભા વિરમભા માણેક પરિવાર દ્વારા જાન્યુઆરી 2026માં ભવ્ય ધાર્મિક કાર્યક્રમો યોજાશે. નાગેશ્વર રોડ સ્થિત ગૌશાળા ખાતે યોજાનારા આ મહોત્સવમાં શ્રીમદ દેવી ભાગવત કથા અને 32 કરોડ જાપ સાથેનો ચંડી મહાયજ્ઞ મુખ્ય આકર્ષણ રહેશે.
કાર્યક્રમની વિગતવાર રૂપરેખા મુજબ, તા. 19 જાન્યુઆરી 2026 થી 28 જાન્યુઆરી 2026 દરમિયાન ‘શ્રીમદ દેવી ભાગવત સપ્તાહ’નું આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ બપોરે 3:30 થી 6:30 વાગ્યા સુધી પૂજ્ય કનકેશ્વરી દેવીજી વ્યાસપીઠ પરથી ભક્તોને દેવી ભાગવતનું રસપાન કરાવશે. આ સાથે જ તા. 23 જાન્યુઆરી થી 31 જાન્યુઆરી દરમિયાન અત્યંત દુર્લભ એવો ‘ચંડી મહાયજ્ઞ’ યોજાશે, જેમાં 32 કરોડ મંત્ર જાપ કરવામાં આવશે. આ યજ્ઞ સવારે 9 થી 1 અને બપોરે 3 થી 7 દરમિયાન ચાલશે, જેમાં 108 શિવલિંગ પર મહારૂદ્ર અભિષેક પણ કરવામાં આવશે.
આ ધાર્મિક મહોત્સવમાં નિલેશભા પબુભા માણેક ચંડી મહાયજ્ઞના મુખ્ય યજમાન તરીકે અને સહદેવસિંહ પબુભા માણેક મહારૂદ્ર અભિષેકના મુખ્ય યજમાન તરીકે બિરાજશે. પબુભા માણેક અને પરિવાર દ્વારા તમામ શ્રદ્ધાળુઓ માટે ભોજન-પ્રસાદની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મહારાજશ્રીના આશીર્વાદ અને ઓખામંડળના ભામાશા સ્વ. વિરમભા આશાભા માણેકના પ્રેરણાસ્ત્રોતથી યોજાઈ રહેલા આ મહોત્સવને સફળ બનાવવા માટે સમગ્ર માણેક પરિવાર અને તેમની ટીમ રાત-દિવસ જહેમત ઉઠાવી રહી છે.



